અકસ્માત સર્જયો 2
ઉત્તર પ્રદેશના બારાબંકીમાં આજે એક ટુરીસ્ટ બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત થયો છે. આ ઘટનામાં 14 યાત્રીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે 30 જેટલા યાત્રીઓ ઘાયલ થયા છે. તમામ ઘાયલ લોકોને હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. આ બસ દિલ્હીથી બહરાઈચ જઈ રહી હતી. આમાં 60 થી 70 જેટલા યાત્રીઓ સવાર હતા. આ અકસ્માત દેવા વિસ્તારમાં બબુરી ગામ પાસે સવારે 5 વાગ્યાની આસ-પાસ થયો હતો. તંત્રએ ઘાયલોની જાણકારી માટે કંટ્રોલ રૂમ નંબર 9454417464 જાહેર કર્યો છે.
સીએમઓ રામ સિંહે જણાવ્યું કે, ઘટનામાં 12 પુરુષો, એક મહિલા અને એક બાળકનું મોત થયું છે. પોલીસે જણાવ્યું કે, બસની સ્પીડ તેજ હતી અને રોડ પર અચાનક જ આવેલી ગાયને બચાવવા જતા ટ્રક અને બસની ટક્કર થઈ હતી. જો કે, એક ઘાયલ મહિલા યાત્રીએ આરોપ લગાવ્યો કે, બસ ડ્રાઈવર દારૂના નશામાં ચૂર હતો. આ અકસ્માત એટલો ભયંકર હતો કે, બસ અને ટ્રક એકબીજા સાથે એવા ટકરાયા હતા કે બંન્નેને અલગ કરવા માટે JCB નો સહારો લેવો પડ્યો હતો. આની મદદથી બબસ અને ટ્રકને અલગ કરવામાં આવ્યા હતા. કેટલાય લોકો આ બસમાં ખૂબ જ ખરાબ રીતે ફસાઈ ગયા હતા. 14 યાત્રીઓના ઘટના સ્થળે જ મોત થયા અને કેટલાય ઘાયલ પણ થયા. ગેસ કટરથી બસને કાપીને યાત્રીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતકોની ઓળખ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
બસમાં સવાર શારદા નામની એક મહિલા પણ ઘાયલ થઈ છે. તેમણે જણાવ્યું કે, બસના ડ્રાઈવર અને કંડક્ટર દારૂ પી રહ્યા હતા. તેમણે બીજાને દારૂ પીવાની ના પાડી દિધી અને પોતે દારૂ પી રહ્યા હતા. સવારે અચાનક અકસ્માત થઈ ગયો.
આ ઘટનાને લઈને વડાપ્રધાન મોદીએ શોક વ્યક્ત કર્યો છે. વડાપ્રધાને રાહત કોષમાંથી દરેક મૃતકનના પરિજનને 2-2 લાખ રૂપિયા આપવાની અને ઘાયલોને 50,000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે. તો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ દુઃખ વ્યક્ત કર્યું છે. આ સિવાય જિલ્લા અધિકારી ડો. આદર્શ સિંહે પણ જિલ્લા હોસ્પિટલ પહોંચીને ઘાયલો સાથે મુલાકાત કરી હતી. તેમણે મૃતકોના પરિજનોને 2-2 લાખ અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.
