Gujarat

ગોંડલના રામમંદિરનાં મહંત શ્રી હરિચરણદાસજી બાપુ થયા બ્રહ્મલીન! કાશીના ઘાટ થી લઈને ગોંડલના રામ મંદિરનાં મહંત બનવાની સફર જાણો…

આજનો દિવસ ગોંડલ પંથકના લોકો માટે ખૂબ જ શોકમય બની ગયો કારણ કે, આજ રોજ ગોંડલ રામજી મંદિરના મહંત હરિચરણદાસ બાપુ આજે વહેલી સવારે શ્રીજી ચરણ પામ્યા છે. ત્યારે ચાલો આજે અમે આપને તેમના જીવન વિશે જણાવીશુ કે, કંઈ રીતે તેઓ અતિ પાવનકારી સાધુ બન્યા અને કંઈ રિતે લોકોના જીવનને કલ્યાણકારી બનાવ્યું. એમનું જીવન સદાય લોકોની સેવામાં વીત્યું છે અને ભગવાનની નિત્ય ભક્તિ જ કરી છે. જ્યારે આજે તેઓ શ્રીજી ચરણ પામ્યા છે, ત્યારે આપણે સૌ પ્રાર્થના કરીએ કે, તેમની દિવ્ય આત્માને શાંતિ મળે.

બાપુના જીવન પર એક નજર કરીએ તો પૂજ્ય હરિચરણદાસજી મહારાજનો જન્મ બિહારનાં ચંપારણ્ય જિલ્લામાં પંડિત આનંદ મિશ્રને તથા માતા ચંતિકાને ત્યાં થયો હતો, જન્મ સમયે તેમને કરિશ્ચંદ્ર મિશ્ર નામ અપાયું હતું. માત્ર 2 વર્ષ ની ઉંમર હતી ત્યારે તેમના માતા પરલોકવાસી થયા.માતા પિતાનાં ગયા પછી પરવરીશ પિતામહ દામોદર મિશ્ર દ્વારા થઇ અને તેમના જ દ્વારા ભક્તિના બીજ વવાતા ગયા.

પૂર્વસંસ્કાર અનુસાર બાલ્યાવસ્થાથી જ સંસાર પ્રત્યે વૈરાગ્યભાવ પણ વિકસતો ગયો. સાથે ગરીબી અવસ્થાની સંઘર્ષ પણ એક સાધન તરીકે સહયોગી બન્યો. વર્ષ 1949ની સાલમાં કાશી પહોંચી ત્યાં અધ્યયન કાર્યમાં જોડાયા. શાસ્ત્રનો અભ્યાસ વધતો ચાલ્યો.કાશી પહોંચીને અસીઘાટ પાસે એક સંતના આશ્રમમાં રહીને શાસ્ત્રનું અધ્યયન અને ભજન કરવા લાગ્યા. પ્રભુ શિવજી પાસેથી આદેશની અનુભૂતિ થઇ. “બધું છોડીને ભગવત શરણ કરો. બધું ઠીક થઇ જશે. અને તે જ દિવસે એક વસ્ત્ર અને એક જલપાત્ર’ લઇને ગંગાજીના કિનારે નીકળી ગયા. અનેક સંકટો વચ્ચે ગંગાના કિનારે પ્રભુનું સ્મરણ કરતાં કરતાં પ્રયાગ તરફ ચાલી નીકળ્યા. 1946માં પ્રયાગરાજ ગંગાકિનારે તેમણે નિશ્ચય કર્યો કે અહીંયા જે ગુરુ મળશે તેમની પાસેથી દિક્ષા લઈશ.

એક સંત રણછોડદાસજી જેવા જ દેખાતા હતા તેમણે દિક્ષા આપી અને અયોધ્યામાં રામઘાટ પર ભજન કરવા આદેશ આપ્યો હતો. જાનકી કુંડ તથા ચિત્રકૂટમાં વિતાવ્યા બાદ 1954માં ગુરુદેવ ગોંડલ આવ્યા અને પૂજ્ય રણછોડદાસજી બાપુના આદેશથી રામ મંદિરની ગાદી સંભાળી. ત્યારબાદ ગોંડલની ધરા પર સેવાનો અવિરત યજ્ઞ શરૂ થયો. ગોરા ખાતે આદિવાસી બાળકો માટે શાળા, હરીધામ આશ્રમ ઋષિકેશ ખાતે અન્નક્ષેત્ર અને સ્વાસ્થ્ય શિબિરો ચાલે છે. શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલ જેવી અનેક પ્રવૃત્તિઓ દ્વારા બાપુએ સેવા પ્રસરાવી છે.

હોસ્પીટલમાં અત્યાર સુધીમાં 15 લાખથી વધારે ઓ.પી.ડી એક લાખથી વધુ દાખલ દર્દીઓ અને નવ લાખથી વધુ લોકો નિશુલ્ક ભોજન-પ્રસાદની સેવા લઈ ચૂક્યા છે. તેમજ આંખનાં 50 હજારથી વધારે નેત્રમણી ઓપરેશન વિનામૂલ્યે કરી આપવામાં આવ્યા છે.ખરેખર આ દિવ્ય સંતની વિદાય આપના સૌ માટે એક મોટી ખોટ છે, જેને કોઈપણ ન પુરી કરી શકે.જીવનમાં સદાય ભજન અને સેવાને આગળ રાખીને જ જીવન જીવ્યું એવા સંત ને પ્રણામ કરીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!