દાદાની અસ્થીવિસર્જન કરવા ગયેલા પૌત્રોને આ કારણે મોત ભરખી ગયું, બંને ભાઈની અંતિમ યાત્રામાં ગામ હિબકે ચડ્યું…
વિધાતાના લેખ સામે કોઈ મેખ મારી શકતું નથી. કોણ જાણે કાલ સવારે શું થઈ જાય. હાલમાં જ ગુજરાતનાં ગોધરાનાં ખાડી ફળિયા વિસ્તારમાં રહેતા પરિવારમાં દુઃખનું આભ તૂટી પડ્યું હતું. તમને જાણીને નવાઈ લાગશે કે, હર્ષવર્ધનસિંહ સોલંકી, જનકસિંહ સોલંકી અને મહેશભાઈ પરમાર સહિત પોતાના પરિવારના 26 જેટલા સભ્યો ગઈકાલે ગોધરાથી આઈસર ટેમ્પામાં બેસી ચાણોદ ખાતે પોતાના સ્વજનની અસ્થિવિસર્જન માટે ગયા હતા
દુઃખદ ઘટના એવી બની કે, યપોતાના દાદા અમરસિંહ સોલંકીના અસ્થિવિસર્જન બાદ ચાણોદ અને પોઈચા વચ્ચે આવેલ નદીમાં સ્નાન કરવા માટે હર્ષવર્ધનસિંહ સોલંકી નદીમાં ગયા હતા. જ્યાં પાણીના પ્રવાહમાં એક ભાઈ ડૂબવા લાગતા તેને બે ભાઈઓ બચાવવા પડયા હતા. પરંતુ પાણીનો વધારે પ્રવાહ હોવાથી ત્રણેય ડૂબ્યા હતા જેમાં બે ભાઈના મોત થયા હતા. જ્યારે એકનો બચાવી લેવામાં આવ્યો હતો.
હર્ષવર્ધનસિંહ બચાવવા માટે તેના પિતરાઈ ભાઈઓ જનકસિંહ સોલંકી અને મહેશભાઈ પરમાર આ બન્ને ભાઈએ પાણીમાં છલાંગ લગાવી બચાવવા માટે ગયા હતા. પરંતુ પાણીનું વહેણ વધારે હોવાના કારણે આ ત્રણેય પિતરાઈ ભાઈઓ પાણીમાં ડૂબી ગયા હતા.આખરે એક નાવડીના ચાલકે પોતાની કુનેહ વાપરીને બે લોકોને પાણીમાંથી બહાર કાઢી 108 એમ્બ્યુલન્સની મદદથી તાત્કાલિક શીનોરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન જનકસિંહ સોલંકીનું મોત નીપજ્યું હતું, જ્યારે મહેશભાઈ પરમારને બચાવી લેવામાં આવ્યા હતા.
પરંતુ હર્ષવર્ધનસિંહ સોલંકી પાણીના વહેણમાં તણાઈ જતાં લાપતા થયા હતા.ભારે જહેમત બાદ હર્ષવર્ધનસિંહનો મૃતદેહ મળી આવતા બહાર કાઢવામાં આવ્યો હતો. આમ ગોધરાના ખાડી ફળિયામાં આવેલ રામેશ્વર નગરના બે પિતરાઇ ભાઈના મોતના સમાચાર સાંભળતા પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો.બે જવાન દીકરાઓના મોતના સમાચાર સાંભળતા પરિવારજનોમાં શોક ફેલાઈ ગયો હતો. પિતાએ પોક મૂકીને રુદન કરતા કહ્યું કે, હું મારા દીકરાઓને જીવતો લઈ ગયો હતો અને મરેલી હાલતમાં લાવ્યો.
હજી તો મારા બાપનું તેરમું થયું નથી અને મારા બે જવાન દીકરાની અર્થી તૈયાર થઈ ગઈ, મારા બે દીકરાઓને પાછા આપી દો ભગવાન. બીજીબાજુ પોતાના મામાના મોતના સમાચાર સાંભળતા ભાણિયો રુદન કરી કહેતો મારા મામાને લાવો મારા મામાને લાવો.ગોધરાના ખાડી ફળિયા ખાતે આવેલ રામેશ્વર નગરમાં રહેતા જનકસિંહ બુધેસિંહ સોલંકી ખાનગી નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેના લગ્ન ઠાસરા તાલુકાના સનાદરા ગામે આજથી એક વર્ષ અને ચાર મહિના પહેલા થયા હતા, ત્યાં જ આવું દુઃખ આવી ગયું.
