શીતળા સાતમના દિવસે જાણો કેમ ઠંડું ખાવાનું હોય છે, શા માટે સ્ત્રીઓ શીતળા સાતમનું વ્રત વર્ષોથી કરતી આવે છે.
આપણે ત્યાં સાતમ-આઠમ નો તહેવાર ખૂબ જ લોકપ્રિય છે. જગતના નાથના જન્મદિવસની ઉજવણીનો આ મહાપર્વનું ગુજરાતમાં ખૂબ જ અનેરૂ મહત્વ છે. ત્યારે આજે આપણે જાણીશું કે દર વર્ષે ઉજવાતી સાતમ નાં દિવસે કેમ લોકો ઠંડુ ભોજન પ્રસાદમાં લઇ છે. દરેક સ્ત્રીઓ શીતળા સાતમનું વ્રત કરતી હોય છે જેનું ખૂબ જ અનેરું મહત્વ હોય છે. ત્યારે ચાલો આજે સાતમ નાં દિવસે તેનું મહ્ત્વ અને કથા જાણીએ.
સાતમના આગલા દિવસને રાંધણ છઠ્ઠ કહે છે. રાંધણ છઠ્ઠના દિવસે રાંધી લીધા પછી બહેનો સગડી, ગેસના ચૂલા વગેરે સાધનોની પૂજા કરે છે અને બીજે દિવસે એટલે શીતળા સાતમને દિવસે પ્રાતઃકાળમાં ઊઠી ઠંડા પાણીએ સ્નાન કરી સગડી કે ચૂલા વગેરે લીપી ગૂંપી તેમાં આંબો રોપી કૃતકૃત્ય બને. અને સાતમના દિવસે ઠંડુ ખાવાનું હોય છે અને આ દિવસે ચુલો કે ગેસ પ્રગટાવવામાં આવતા નથી.
આજના દિવસે દરેક સ્ત્રીઓ વ્રત કરે છે.શીતળા માતાની ક્ષમા, સહનશીલતા અને ઔદાર્ય અજોડ છે. દેવીનું પૂજન કર્યા પછી સાત ગૌરીની પૂજા કરી સાતેય ગોયણીઓને પ્રેમપૂર્વક જમાડવી. શીતળા દેવીનું શીતળા સપ્તમી વ્રત કરનાર સ્ત્રીને કદી વૈધવ્ય આવતું નથી. આ વ્રતને “વૈધવ્યનાશન” વ્રત પણ કહેવાય છે.
શીતળા સાતમની કથા આપણે વર્ષો થી જાણીએ છે કે,રાંધણ છઠ્ઠના દિવસે દેરાણી અને જેઠાણીએ વિવિધ પ્રકારની વાનગીઓ રાંધી હતી અને ચૂલો સળગતો રાખીને સૂઈ ગયા હતા.રાત્રે સૂમસામ શાંતિમાં શીતળાદેવી ફરવા નીકળ્યાં અને દેરાણી રૂપાને ઘેર આવી ચૂલામાં આળોટવા જતાં જ આખા શરીરે દાઝી ગયાં, તેથી શાપ આપ્યો: “જેવી મને બાળી, એવું જ તારું પેટ એટલે તારી સંતતિ બળજો…” દેરાણી પોતાના દિકરા ને લઈને શીતળા માતાની શોધમાં નીકળે છે, ત્યારે રસ્તે પાણી, વૃક્ષ, આખલા જેવા સ્થાનો આવે છે અને તે પોતાની સમસ્યા જણાવે છે.
દરેકના પ્રશ્ન સાંભળીને જ્યારે એ આગળ વધે ત્યારે એક વૃક્ષ નીચે ડોશીમાં બેઠા હોય છે. અને દેરાણી એ ડોશીનું માથું જોઈ આપ્યું. ડોશીમાએ આશીર્વાદ આપ્યા કે, મારું માથું ઠાર્યું એવું તારું પેટ ઠરજો… અને મૃત્યુ પામેલો તેનો પુત્ર આશીર્વાદ મળતાની સાથે જ સાજો થઈ ગયો. મા-દીકરો ભેટી પડ્યા. ડોશીમાએ શીતળા માતાનું રૂપ લઈ દર્શન દીધા પછી પેલી વાવ અને બળદના દુઃખ પણ દૂર કર્યાં.ખરેખર શીતળા સાતમનું વ્રત ખૂબ જ પાવન કારી છે.