અલગ અલગ મુદ્રા થી તમે અનેક રોગો મટાડી શકો છો ! જાણો કઈ રીતે..
પ્રાણશક્તિને સંતુલિત કરવાથી જે અંગ રોગીષ્ટ છે તે અંગ ઠીક થતાં રોગ દૂર થશે. આ પ્રાણશક્તિ પાંચ તત્ત્વોથી બનેલ છે. આ પાંચ તત્ત્વોનું શરીરમાં સંતુલન કરવાથી બધા જ પ્રકારની બીમારી (રોગો) સારી થઈ શકે છે. મનુષ્યનું શરીર બ્રાંડની એક નાની પ્રતિકૃતિ છે. આપણા શરીરના રહસ્યને જાણીએ તો સમજાશે કે, આપણું શરીર એટલું સક્ષમ છે કે, શારીરિક કે માનસિક (તકલીફો) વ્યાધિ આ શરીરમાં થાય તે સર્વેને દૂર કરવાની ક્ષમતા અને શક્તિ આ શરીરમાં જ છે.
બ્રાંડ જેમ પાંચ તત્ત્વોથી બનેલ છે, તેમ આપણું શરીર પણ પાંચ તત્ત્વોનું બનેલ છે. આ પાંચ તત્ત્વો એટલે અગ્નિ, વાયુ, આકાશ, પૃથ્વી અને જલ. આપણી આ પાંચ આંગળીઓ પણ આ પંચતત્ત્વનું પ્રતિનિધિત્વ કરે છે. આપણી આ પાંચ આંગળીમાં ઈશ્ર્વરે અગ્નિ, વાયુ, આકાશ, પૃથ્વી અને જલતત્ત્વને સંતુલિત કરી સ્વસ્થ જીવન જીવવા માટેનું અદ્ભુત રહસ્ય આપ્યું છે. આ પાંચ તત્ત્વો પાંચ ચક્રોથી જોડાયેલાં છે જેમ કે મણિપુર ચક્ર (અગ્નિતત્ત્વ), અનાહત ચક્ર (વાયુતત્ત્વ), વિશુદ્ધ ચક્ર (આકાશતત્ત્વ), મૂલાધાર ચક્ર (પૃથ્વીતત્ત્વ) અને સ્વાધિષ્ઠાન ચક્ર (જલતત્ત્વ) સાથે જોડાયેલ છે. દરેક ચક્ર શરીરની નાડીઓમાં જીવનઊર્જાના પ્રવાહને સંચાલિત કરે છે. વિભિન્ન મુદ્રાઓના પ્રયોગથી આપણે આ ચક્રોને જાગ્રત કરી જૂના અથવા નવા અસાધ્ય રોગોને પણ દૂર કરી આજીવન સ્વસ્થ રહી શકીએ છીએ.
ઋષિમુનિઓના ઊંડા તપની ફલશ્રુતિ :- મુદ્રા વિજ્ઞાન આપણા પ્રાચીન ઋષિમુનિઓના ઊંડા તપની ફલશ્રુતિ છે. જેવી રીતે પર્યાવરણથી વ્યક્તિ પ્રભાવિત થાય છે તેવી રીતે વ્યક્તિના સ્નાયુ અને ગ્રંથિઓ મુદ્રાથી પ્રભાવિત થાય છે. માણસ પોતાના વ્યક્તિત્વનો વિકાસ અને સ્વભાવ પરિવર્તન પણ મુદ્રાથી કરી શકે છે. મુદ્રાનો અભ્યાસ નિશ્ર્ચિત પરિણામ મેળવવામાં સરળ છે. મુદ્રા વિજ્ઞાન આપણા સ્વાસ્થ્યની ચાવી છે, એટલે કે માનવશરીરરૂપી મહાયંત્રનાં નિયંત્રણ બિંદુ છે, જેની મદદથી શરીરમાં અલૌકિક શક્તિ તથા એક ખાસ પ્રકારના ઊર્જાતરંગો જરૂરિયાત મુજબ પ્રવાહિત થાય છે અને શરીરમાં ઉત્પ્ન્ન થયેલ અસંતુલનને દૂર કરે છે. યોગ્ય મુદ્રાઓનો અભ્યાસ શરીરનાં પાંચેય તત્ત્વો જેવાં કે, અગ્નિ, વાયુ, આકાશ, પૃથ્વી અને જલને સંતુલિત કરી મનુષ્યને સ્વાસ્થ્ય-લાભ આપે છે. સાથે સાથે ભૌતિક, માનસિક, આધ્યાત્મિક ઉન્નતિ પણ આપે છે.
આપણી દરેક આંગળી ત્રણ ભાગોમાં વિભાજિત થયેલ છે. અગ્ર ભાગ, મધ્યભાગ અને મૂળ ભાગ. આંગળીને વાળીને અંગૂઠાથી દબાવવામાં આવે તો મધ્યભાગ સ્વાભાવિક રૂપથી દબાય છે. કોઈપણ આંગળીના અગ્રભાગને અંગૂઠાના અગ્રભાગ સાથે જોડવામાં આવે અથવા અગ્રભાગ ઉપર રાખવામાં આવે તો તે આંગળીના તત્ત્વમાં વધારો થાય છે અને આંગળીના અગ્રભાગને અંગૂઠાના મૂળમાં મૂકી અંગૂઠાથી સાધારણ દબાણ આપવાથી તે તત્ત્વમાં ઘટાડો થાય છે.
આયુર્વેદના મત મુજબ વાત, પિત્ત અને કફના અસંતુલનથી રોગ થાય છે. તર્જની (વાયુ) અને મધ્યમા (આકાશ) વાતને અંગૂઠો (અગ્નિ) પિત્તને અને અનામિકા (પૃથ્વી) અને કનિષ્ટિકા (જલતત્ત્વ) કફને નિયંત્રિત કરે છે.
મનુષ્ય બીમાર કેમ પડે છે ? આપણે આપણી ઇચ્છાઓની પૂર્તિ માટે જે ભૌતિક સુખ-સાહ્યબી ઊભી કરીએ છીએ તેને જ સુખ સમજવામાં આવે છે, પરંતુ આ સુખ નથી. મન અશાંત હશે તો માનસિક તેમજ શારીરિક ‘વ્યાધિ દિવસે દિવસે વધતી જશે. જેમ કે ચિંતા, અનિદ્રા, હાઈ બ્લડપ્રેશર, દમ, હૃદયરોગ, ડાયાબિટીસ, કેન્સર, સંધિવાત, કમરદર્દ, આધાશીશી વગેરે બીમારીઓ આવે છે. પ્રાણશક્તિને સંતુલિત કરવાથી જે અંગ રોગીષ્ટ છે તે અંગ ઠીક થતાં રોગ દૂર થશે. આપણે આગળ જોયું તેમ આ પ્રાણશક્તિ પાંચ તત્ત્વોથી બનેલ છે. આ પાંચ તત્ત્વોનું શરીરમાં સંતુલન કરવાથી બધા જ પ્રકારની બીમારી (રોગો) સારી થઈ શકે છે.