દ્વારકાધીશના શિખર પર અવિરતપણે લહેરાતી 52 ગજની ધજા અને તેના રંગના અનેક રહસ્યો છુપાયેલ છે.
દૂર દૂર સુધી કંઈ ન દેખાતું હોય ત્યારે મંદિર પર ધજા ફરકતી હોય છે, ત્યારે એવો ભાસ થાય છે કે હાશ હવે જગતના નાથનું ધામ આવ્યું. ખરેખર આપણા હિન્દૂ ધર્મમાં ધજાનું અનેરું મહત્વ છે અને એમાં પણ આપણા ગુજરાતના દ્વારકાધીશનાં શિખર પર ફરકતી 52 ગજની ધજાનું તો અનંત ગણું મહત્વ છે, ત્યારે આજે આપણે દ્વારકાધીશના શિખર પર ફરકતી ધજા વિશે આજે આપણે જાણીશું.
દ્વારકા ધામ એ દ્વારમાધીશ ની નગરી છે, જ્યાં શ્રી કૃષ્ણ રાજાધિરાજ સ્વરૂપે બિરાજમાન છે.આ ચાર ધામનું અંતિમ સ્થાન છે અને કહેવાય છે કે તમે માત્ર દ્વારકાધીશની ધજાનાં દર્શન કરો છો તો પણ તમને અનંત ગણું પુણ્ય મળે છે.
આ મંદિરમાં ધજા પૂજનનું વિશેષ મહત્વ છે. આ ધજાની ખાસિયત છે કે પવન ગમે તે દિશોનો હોય આ ધજા હંમેશા પ્રશ્ચિમથી પર્વ તરફ જ લહેરાય છે.
દ્વારકાધીશજીના મંદિરમાં લાગેલી ધજાને ઘણા કિલોમીટર સુધી જોઇ શકાય છે. આ ધ્વજ 52 ગજની છે હવે આટલી મોટી ધજા શા માટે તેની પાછળ કથા છે કે દ્વારકા પર 56 પ્રકારના યાદવોએ શાસન કર્યુ હતુ. દરેક પોતાના મહેલ હતા અને તેના પર પોતાની નિશાનીરૂપ ધજા હતી. જ્યારે તેમાં મુખ્ય શ્રીકૃષ્ણ, બલરામ, અનિરુદ્ઘ અને પ્રદ્યુમ્ન આ ચાર ભગવાન હોવાને કારણે તેમનાં મંદિર બનાવવામાં આવ્યા છે.
જ્યારે બાકીના 52 પ્રકારના યાદવોના પ્રતિક રૂપે દ્વારકાધીશના મંદિર પર 52 ગજની ધજા ફરકે છે. તો આ જ રીતે મંદિરમાં પ્રવેશ માટે ગોમતી નદીના મંદિરની સામે 56 પગથિયાની સીડી બનાવવામાં આવી છે. કહેવાય છે કે, આ સીડીઓ ચડવા થી સ્વર્ગનું પુણ્ય પ્રાપ્ત થાય છે.
દ્વારકા મંદીર પર ધજા ચડાવવા માટે વર્ષો સુધી રાહ જોવી પડે છે, ત્યારે પુણ્ય પ્રાપ્ત થાય છે. દ્વારકાધીશના મંદિર પર દિવસમાં 3 વખત ધજા બદલવામાં આવે છે. સવારે, બપોરે અને સાંજે. અહીં મંદિર પર ધજા ચઢાવવા-ઉતારવા અને દક્ષિણાનો અધિકાર અબોટી જ્ઞાતિના બ્રાહ્મણોને છે. જોકે દરેક વખત અલગ-અલગ રંગની ધજા ચઢાવવામાં આવે છે.
દ્વારકાધીશના મંદિરમાં અનેક રંગની ધજા લહેરાય છે.
લાલ રંગ: ઉત્સાહ, સ્ફૂર્તિ, ધનધાન્ય અને વિપુલ સંપત્તિનો પ્રતિક છે,જ્યારે લીલો રંગ: આધ્યાત્મિક પ્રેરણાનો પ્રતિક માન્ય છે તે શાંતિ અને શિતળતાનો દેવાવાળો છે. શ્રી કૃષ્ણનો પ્રિય રંગ પીળો શાણપણ, માન્યતા અને બુદ્ઘિનું પ્રતિક માનવામાં આવે છે.
જ્યારે વાદળી રંગ: બળ અને પૌરુષનું પ્રતીક ગણવામાં આવે છે તેમજ સફેદ રંગ: શુદ્ઘતા અને શિક્ષણનું પ્રતીક ગણાય છે . હિન્દૂ ધર્મનો કેસરિયો રંગ: હિંમત, નિર્ભયતા અને પ્રગતિની નિશાની ગણવામાં આવે છે અને ગુલાબી રંગ: માનવની પ્રકૃતિ દર્શાવે છે, જે નરમ અને આકર્ષક છે, તે કાંટા પર સ્મિત કરે છે. મનુષ્યમાં પણ આના જેવું હોવા જોઇએ! ખરેખર દ્વારકાધીશની ધજાના દર્શન માત્રથી દિવ્ય અનુભૂતિ થાય છે.